વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૪)

ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ

આ લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે વિનોબાજીએ ગાંધીજીના નિર્વાણ પછીના તેર દિવસો દરમ્યાન શ્રદ્ધાંજલિ રૂપે જે ૧૭ પ્રવચનો આપ્યાં હતાં તેની વિસ્તારે વાત કરી હતી. ગાંધીજી અંગે વિનોબાના વિચારોને સમજવા માટે એક બીજા મહત્ત્વના પુસ્તકની થોડી વાત અહીં કરવી છે.

પુસ્તક છે, ‘ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ.’ ગાંધી શતાબ્દી નિમિત્તે આ પુસ્તક શ્રી કાન્તિભાઈ શાહે તૈયાર કર્યું હતું. ગુજરાતીમાં તૈયાર થયેલ આ પુસ્તકની આશરે ૧૦,૦૦૦ નકલો લોકોના હાથમાં પહોંચી છે. આ ઉપરાંત દેશની બધી ભાષાઓમાં તેમજ અંગ્રેજી, ઈટાલિયન તેમજ અન્ય વિદેશી ભાષામાં પણ તેનો અનુવાદ થયો છે.

આ પુસ્તક ન તો વિનોબાજીએ લખ્યું છે, ન તેમણે સળંગ પ્રવચનો આપીને આ પુસ્તક તૈયાર કરાવ્યું છે; પણ કાન્તિભાઈએ વિનોબાજીનાં ૩૦૦ જેટલાં વક્તવ્યો, લખાણો ભેગાં કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ માત્ર સંકલન નથી. લખાણોને ૨૧ પ્રકરણમાં વહેંચી નાંખીને વિનોબાજીની વાતોને એક દૃષ્ટિસંપન્ન આકાર આપ્યો છે.

આનંદની વાત એ છે કે વિનોબાજીએ મૂળ ગુજરાતી પુસ્તક અને તેનો મરાઠી અનુવાદ વાંચી લીધો હતો. વિનોબાજીએ પુસ્તકને આશીર્વાદ આપતાં લખ્યું –

“સંપાદનનો આ પ્રયત્ન બહુ જ સારો છે, લાભદાયી છે. (કોઈ) અધિકૃતતાની વાત કરે તેને કહેવું કે બાબા આ પુસ્તક જોઈ ગયા છે અને એમણે તેને પોતાની માન્યતા આપી છે, આશીર્વાદ આપ્યા છે.

સ્વામી આનંદે પુસ્તક અંગે લખ્યું – “એક વાચકને નાતે કહું તો સંપાદનના કામમાં ભાઈ કાંતિ બેહદ સફળ થયા છે. પુસ્તક ઠેઠ છેડા સુધી વાંચી જતાં ન તો મને ક્યાંયે ઠેસ આવી, ન ખોડીબારાં. સરીઆમ ડામર સડક પર ધ્રોપટ દોડતો ફાટક લગણ પહોંચી ગયો. ગૂંથણકળા પણ એવી કે આ ડિઝાઈન નકશીદાર સળંગ વણાટનો ગાલીચો શેતરંજી છે કે કકડા જોડેલ સીવેલ ચંદરવો, એનું ઓસાણ સરખું વાચન દરમ્યાન કયાંયે ન ઊગ્યું અને છતાં આરંભકાળથી માંડીને આજ લગીનું વિનોબાજીનું સળંગ ગાંધીદર્શન આ સંકલનમાં જે સંપૂર્ણતાએ વણાયું છે, તે જોઈને વિનોબાજીની વિચારધારાનો હરકોઈ ચાહક અભ્યાસી હેરત પામે એમ છે.

સમાજમાં આજે ચારે બાજુ પૈસા, પદ, સત્તા, શસ્ત્રાસ્ત્ર, જોર-જબરદસ્તીની જ બોલબાલા છે.

ગાંધીજીના અહિંસક સમાજરચનાના મિશનને સમજવામાં આ પુસ્તક ઉપયોગી નીવડશે તેમ કાન્તિભાઈને લાગે છે. ૧૫૦ પાનાંનું યજ્ઞ પ્રકાશનનું આ પુસ્તક હાલમાં રૂ. ૭૦માં ઉપલબ્ધ છે.

સ્વરાજ આવ્યું પણ ગાંધીને સંતોષ ન હતો

આ પુસ્તકના પાન નં ૧૩૭ પર નજર નાંખવા જેવી છે. વિનોબાજી કહે છે –

“ગાંધીજીના ગયા પછી હું વિચારવા લાગ્યો કે હવે મારું કર્તવ્ય શું છે ? ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે મારે મારું સ્થાન છોડવું પડશે. મેં જોયું કે સ્વરાજ તો આવ્યું, પણ તેનાથી ગાંધીજીને સંતોષ ન હતો. ન ખાદી-ગ્રામોદ્યોગ વિશેની આશાઓ ફળી, ન શાંતિ સ્થાપવા વિશેની આશા ફળી. ન તો અહિંસાના વિચાર અંગેની આશા ફળી. શોષણમુક્તિ અને શાસનમુક્તિ એ બંનેને અંગે એમના દિલમાં અસંતોષ રહ્યો.

“૧૯૪૫માં છેલ્લી વાર જેલમાંથી બહાર આવ્યા પછી ‘સમગ્ર ચિંતન’ શબ્દ વારંવાર એમણે (ગાંધીજીએ) કહેવા માંડેલો. કહ્યા કરતા કે સમગ્ર થવું જોઈએ, સમગ્ર થવું જોઈએ. બધા રચનાત્મક કાર્યક્રમો એકમેકમાં તાણા ને વાણાની જેમ ઓતપ્રોત થઈ જવા જોઈએ. તો જ શક્તિ ઊભી થશે. પરંતુ આ વાતને અમલમાં મૂકવાનો એમને મોકો ન મળ્યો. છેવટે એમણે એક સંમેલન સેવાગ્રામમાં બોલાવ્યું હતું. સંમેલન મળ્યું ખરું પણ બાપુના મૃત્યુ પછી.


તમને આ પણ વાંચવું ગમશે


સેવાગ્રામ સંમેલન

લેખમાળાના છેલ્લા ભાગમાં આપણે જોયું કે પ્યારેલાલજીના મતે ૧૯૪૭ ડિસેમ્બરમાં ગાંધીજી અતિશય વિષાદગ્રસ્ત હતા. ગાંધીજીને લાગ્યું કે કૉંગ્રેસ નિસ્તેજ થઈ ગઈ છે. ગાંધીજીની નજર દેશમાં નાનું મોટું રચનાત્મક કામ કરનાર વ્યક્તિઓ પર અને કેટલીક સંસ્થાઓ પર હતી.

શ્રીમન્નારાયણ સાથે ૧૦ જાન્યુ, ૧૯૪૮ના રોજ વાત કરતાં ગાંધીજી જણાવે છે કે ફેબુ્રઆરી ૧૯૪૮ના શરૂાતના દિવસોમાં સેવાગ્રામમાં એક વિશાળ સંમેલન યોજવાનું નક્કી કરેલ છે. ૩૦ જાન્યુ. ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા થતાં સેવાગ્રામમાં ૧૧ થી ૧૫ માર્ચ ૧૯૪૮માં મહાદેવભાઈ ભવનમાં સંમેલન મળ્યું. દેશમાંથી ૫૦૦ જેટલા કાર્યકર્તાઓએ તેમાં ભાગ લીધો હતો.

હાજર રહેલા મહાનુભાવોનાં નામની યાદી નીચે પ્રમાણે છે.

– વિનોબાજી – જવાહરલાલ નહેરુ – ડૉ. રાજેન્દ્રપ્રસાદ – ઝાકીર હુસેન – મૌલાના અબુલકલામ આઝાદ – જે.સી.કુમાર અપ્પા – જય-પ્રકાશ નારાયણ – કાકા સાહેબ કાલેલકર – દાદા ધર્માધિકારી – તુકડોજી મહારાજ – આશાદેવી આર્યનાયકમ – પ્રફૂલચંદ્ર ઘોષ – આચાર્ય કૃપાલાણી – શ્રીમન્નારાયણ – પ્યારેલાલ – મૃદુલા સારાભાઈ – કિશોરલાલ મશરૂવાલા – આર.આર. દિવાકર – રાજકુમારી અમૃત કૌર – શ્રી ક્રિશ્ર્નદાસ જાજુ – શંકરરાવ દેવ – દેવદાસ ગાંધી – જૈરામદાસ દોલતરામ – તે વખતના ઓરિસ્સાના ગવર્નર – મુંબઈ, મદ્રાસ, ઓરિસ્સાના મુખ્ય મંત્રીઓ વગેરે.

સરદાર વલ્લભભાઈ માંદગીના કારણે હાજર રહી શક્યા ન હતા. (૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.)

આશરે ૩૮ જેટલા મહાનુભાવો દેશભરમાંથી આવ્યા હતા. પરંતુ ચક્રવર્તી રાજગોપાલાચારી, સરોજિની નાયડૂ, આચાર્ય નરેન્દ્ર દેવ, રામમનોહર લોહિયા, નિર્મલકુમાર બોઝ આવ્યા ન હતા. તેમને આમંત્રણ ન મળ્યું હોવાથી કે અન્ય કારણોસર ન આવ્યા તેની વિગતો ઉપલબ્ધ નથી.

આ સંમેલન યોજવાની ગાંધીજીની દૃષ્ટિને સમજવા માટે પ્યારેલાલના પુસ્તક ‘મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ – પુસ્તક ચોથું’માંથી પાંચમું પ્રકરણ ‘લોકશાહીને પ્રગતિને પંથે ચડાવવાનો પ્રયાસ’ વાંચી જવું પડે. તેમાંથી કેટલાંક વાક્યો પર નજર નાંખીએ, ક્યાંક ભાવાર્થ સમજી વાક્યો નોંધીએ છીએ.

  • સ્વતંત્રતા આવી પણ ક્યારેય જોવામાં આવી નહોતી એટલી લાંચરુશવતખોરી….
  • સરકારમાં જડતા, તુમારશાહી અને બગાડ ચાલુ રહ્યાં.
  • ગાંધીજીનો પત્ર નહેરુને – આપણે બ્રિટિશરોનું ઉડાઉપણું અપનાવી રહ્યા છીએ.
  • આપણા સઘળા પ્રધાનો સ્વેચ્છાએ સાદાઈનો આદર્શ અપનાવે – ગાંધીજી.
  • ગાંધીજી કહે છે – આપણા પ્રધાનોને, ગવર્નરોને મહેલ જેવાં મકાનો જોઈએ છે, અંગરક્ષકોની મોટી પલટણ જોઈએ છે, ભભકાદાર કપડાં પહેરેલ બદદાસીઓ જોઈએ છે, આ બધું હું કેમે કરીને સમજી જ શકતો નથી.
  • સત્તા પર આવેલા કોંગ્રેસીઓ બ્રિટીશરોએ તાલીમ આપીને તૈયાર કરેલા નોકરવર્ગ પર, સેક્રેટરીઓ, ખાતાના વડાઓ વગેરે પર આધાર રાખવા લાગ્યા. અને તેમના ભારે પ્રશંસકો બન્યા.
  • ગાંધીજીએ ભદ્રલોકને કહ્યું – “આજ સુધી ગ્રામવાસીઓ હજારોની સંખ્યામાં મૂઆ છે – આપણને જિવાડવા માટે; હવે આપણે મરવું જોઈએ – તેમને જિવાડવા માટે.
  • બ્રિટિશરોની સામે લડત ચાલતી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનોને અહિંસક બળ ખીલવવાના કાર્યમાં રસ હતો. સત્તા પર આવ્યા પછી તેમનો એ રસ સુકાઈ ગયો છે.
  • એક ખબરપત્રીએ ગાંધીજીને પૂછ્યું – …હિંદુ-મુસ્લિમ એકતા, ખાદી, ગ્રામોદ્યોગો ક્યાંછે ? કૉંગ્રેસના આગેવાનોએ, ગાંધીજીને જીવતા જ દફનાવી દીધા નથી ?
  • ગાંધીજીએ ‘હરિજન’માં “જીવતો દાટ્યો ? તેવા મથાળા સાથે જવાબ આપ્યો.

“હજી મને જીવતો દાટ્યો નથી.

જ્યાં સુધી મારી શ્રદ્ધાની જ્યોત જેવી ને તેવી ઝળહળતી રહેશે ત્યાં સુધી એકલો પડી જાઉં તોયે ઝળહળતી રહેશે, ત્યાં સુધી કબરમાં પડ્યો પડ્યો પણ હું જીવતો રહીશ અને વિશેષ તો એ કે ત્યાંથી પણ બોલતો રહીશ.

ગાંધીજીએ આપેલી લોકશાહીની વ્યાખ્યા – “લોકશાહી એટલે ખરું જોતાં, આખી પ્રજાના કલ્યાણ માટે પ્રજાના જુદા જુદા તમામ વર્ગોની શારીરિક, આર્થિક અને આધ્યાત્મિક શક્તિઓને એકત્ર કરી કામે લગાડવાનાં શાસ્ત્ર અને કળા.

રચનાત્મક કામ કરનારા કાર્યકર્તાઓની ફરિયાદ

“…આપણી સરકાર જ ખાંડની અને ચોખાની મિલો ઊભી કરવાની પરવાનગી આપ્યે જાય છે તથા ખાંડ ઉદ્યોગને રક્ષણ આપી રહી છે. ત્યારે ગોળ તથા હાથછડના ચોખા વગેરેનો પ્રચાર કરવાનો અમે પ્રયાસ કરીએ એનો શો અર્થ ? પ્રાંતિક સરકારો કાપડની મિલો વધારી રહી છે.

  • હિંદનું જે બંધારણ ઘડાઈ રહ્યું હતું તેમાં ગ્રામપંચાયતના નામનો ઉલ્લેખ સરખો પણ ન હતો.

રચનાત્મક કામ કરતી સંસ્થાઓ પોતાનાં ફંડો ભલે રાખે પરંતુ તેમણે તેમના કાર્યક્રમોનો અમલ કરવામાં તે વાપરી નાખવાં જોઈએ અને નિશ્ર્ચિત બાંધી આવક ઉપર જીવી શકવા માટે તેનો સંચય કરવો જોઈએ નહીં.                          – ગાંધીજીનો આગ્રહ.

  • આંધ્રના એક પ્રામાણિક નેતાએ ગાંધીજીને લખ્યું –

ધારાસભાના ઉપલા અને નીચલા ગૃહના સભ્યો ફોજદારી અદાલતોમાં ન્યાયના વહીવટમાં બાધા નાખવાની હદ સુધી જાય છે. લાગવગનો ઉપયોગ કરીને પૈસાની કમાણી કરે છે. આ લોકોના કારણે કલેક્ટરો, મહેસૂલી અમલદારો સ્વતંત્રપણે પોતાની ફરજ બજાવી શકતા નથી…. કડક અને પ્રામાણિક અમલદાર પોતાના હોદ્દા પર ટકી શકતો નથી…. લોકો કહેવા લાગ્યા છે કે, આના કરતાં તો બ્રિટિશ સરકાર ઘણી સારી હતી, તેઓ કૉંગ્રેસને ગાળો પણ આપે છે.

  • ૧૯૪૭ના નવેમ્બરમાં મહાસમિતિની બેઠક થઈ ગયા પછી ગાંધીજી કહે છે –

“મને ખાતરી થઈ ચૂકી છે કે કોઈપણ અરધા-પરધા ઈલાજો કૉંગ્રેસને ઉગારી શકે એમ નથી. એથી તો ઊલટી વેદના લંબાશે. રોગ આગળ વધવા પામે તે પહેલાં કૉંગ્રેસ પોતે જ પોતાનું વિસર્જન કરે, એ તેના માટે ઉત્તમ માર્ગ છે.

પરંતુ ગાંધીજીની આ વાત કોઈ કૉંગ્રેસીને ગળે ઊતરતી લાગતી ન હતી. કોઈ આ વાતમાં ગાંધીજી સાથે સંમત થયું ન હતું. ગાંધીજીએ મહાસમિતિની બેઠકમાં પણ વિસર્જનની વાત તો મૂકી જ હતી.

છેલ્લું વસિયતનામું

ગાંધીજીએ મૃત્યુના આગલા દિવસે ૨૯-૧-૪૮ના રોજ સેવાગ્રામમાં મળનારા સંમેલનમાં રજૂ કરવા અંગે જે નોંધ લખી હતી તે નોંધને પ્યારેલાલે ‘છેલ્લું વસિયતનામું’ કહ્યું હતું. આપણે તેના મુખ્ય મુદ્દાઓની જ અહીં નોંધ કરીશું. આ અંગે વધુ રસ ધરાવતા મિત્રો પ્યારેલાલના પૂર્ણાહુતિ- પુસ્તક ચારના પાન નં. ૫૧૮ અને ૫૧૯ વાંચી શકે છે.

ગાંધીજી કહે છે, રાષ્ટ્રીય કૉંગ્રેસની રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની ભૂમિકા હવે સમાપ્ત થઈ ચૂકી છે. હવે કૉંગ્રેસની વર્તમાન સંસ્થાને વિખેરી નાંખવી જોઈએ અને તે હવે ‘લોકસેવક સંઘ’ સ્વરૂપે પ્રગટ થાય.

શહેરો અને કસબાઓથી ભિન્ન એવાં દેશનાં સાત લાખ ગામડાંઓની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિદ્ધ કરવાની બાકી છે. વધુમાં તેઓ કહે છે, ગ્રામવાસીઓ ગામમાંથી પાંચ સ્ત્રી-પુરુષોની પંચાયત બનાવે. પાસ પાસેની બે પંચાયત એક નેતાને પસંદ કરશે. આવી સો પંચાયતોમાંથી પચાસ નેતાઓ બીજી કક્ષાના નેતાઓને ચૂંટશે. આ બધા સેવકો ખાદી પહેરશે, માદક પીણાંનું સેવન નહીં કરે, તેઓ કોમી એકતાનું તેમજ અસ્પૃશ્યતા-નિવારણનું કામ કરશે. જાતિ, ધર્મ કે સ્ત્રીપુરુષના કશાય ભેદભાવને માન્ય નહીં કરે. પ્રત્યેક ગ્રામવાસીના સંપર્કમાં રહેશે, નવા કાર્યકર્તાઓ નોંધશે, તેમને તાલીમ આપશે. ખેતી, ગૃહઉદ્યોગો દ્વારા ગામડાં સ્વયંપૂર્ણ બને તે માટે બધાને સંગઠિત કરશે. ગ્રામવાસીઓને સફાઈ તેમજ આરોગ્યનું શિક્ષણ આપશે. સરકારી મતદારપત્રકોમાં બાકી રહેલાનાં નામ નોંધાવશે.

બૃહદ લોક સેવક સંઘ, અખિલ હિંદ ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, હરિજન સેવક સંઘ, ગો સેવા સંઘ જેવી સંસ્થાઓને માન્યતા આપશે. સંઘ પોતાના ધ્યેય પાર પાડવા માટે ગ્રામવાસીઓ અને બીજાઓ પાસેથી નાણાં ઊભાં કરશે.

નારાયણભાઈ દેસાઈ તે વખતે ૨૪ વર્ષના યુવાન હતા. તેઓ કહે છે, વસિયતનામાના આ ખરડા પર કૉંગ્રેસે કદીય ગંભીર રીતે વિચાર કર્યાનું અમારી જાણમાં નથી. ગાંધીજીએ એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે જો કૉંગ્રેસ સેવાના રસ્તાને બદલે સત્તાનો રસ્તો ગ્રહણ કરશે તો પચાસ વર્ષમાં દેશમાં તેની કોડીનીયે કિંમત નહીં રહે.


તમને આ પણ વાંચવું ગમશે

વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-૧૨)

વિનોબા-જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-11)

વિનોબા વિદ્યાર્થીઓને શું કહે છે?


સેવાગ્રામ સંમેલનમાં શું થયું ?

સંમેલનની વિગતોમાં જતાં પહેલાં આપણે દેશની તે વખતની સ્થિતિ, કૉંગ્રેસની સત્તામાં આવ્યા પછીની કાર્યપ્રણાલી અને ગાંધીજીની વ્યથા-કથા અને તેમના દ્વારા લખાયેલા વસિયતનામા પર નજર નાંખી. સંમેલનમાં આયોજક તરફથી ચર્ચાના મુખ્ય મુદ્દા જાહેર કરવામાં આવ્યા, જે નીચે પ્રમાણે હતા.

  • તે વખતની દેશની સ્થિતિ જોઈને ભાવિ કાર્યક્રમોનું આયોજન કરવું.
  • ગાંધીજીએ દર્શાવેલ લોકસેવક સંઘ અંગે ચર્ચા કરવી.
  • દેશમાં ફેલાયેલી નફરતને ખાળવા માટે તેમજ હિંસાના આતંક સામે અહિંસક શક્તિને સક્રિય કરવી.

ગાંધીજીની ગેરહાજરીમાં આ દિશામાં હવે દેશને કોણ દોરશે ?- તેનો વિચાર કરવામાં આવે, સંમેલનની સંપૂર્ણ વિગતો જાણવા માટે બે પુસ્તકો પર નજર નાંખવી પડે તેમ છે.

  1. सेवाग्राम रचनात्मक कार्यकर्ता – सम्मलेन का विवरण લેખક રઘુનાથ શ્રીધર ધોત્રે
  2. Gandhi is Gone – who will Guide us Now ?- Gopal Krishna Gandhi (Author, Editor)

આ ઉપરાંત શ્રીમન્નારાયણે તેમના પુસ્તક Vinoba : His Life and Workમાં એક પ્રકરણ ‘The Sevagram Conference : Servodaya Samaj’ માટે ફાળવ્યું છે, જેમાં સંમેલનનો સાર આપ્યો છે.

પ્રથમ પુસ્તક વાંચતાં મહાનુભાવોના વિચારો તે પરિસ્થિતિમાં શું હતા તે જાણી શકાય છે. દૃષ્ટિભેદ, વિચારભેદ પણ સામે આવે છે. ગાંધીજી કેટલા મોટા Cementing Factor હતા તેનો ખ્યાલ આવે છે.

ગાંધીજીના ગયા પછી નવા નવા પડકારો ઝીલવાની ક્ષમતા ક્ષીણ થઈ ગઈ હોય તેમ લાગે છે. કૉંગ્રેસ, સરકાર, રચનાત્મક કાર્યકરો, વિચારકો, ચિંતકો વચ્ચે સંવાદનો અભાવ પણ દેખાય છે. કેટલાક એકબીજાને નામથી ઓળખતા હશે પણ પ્રત્યક્ષ મળવાનું ઓછું રહ્યું હોય તેમ લાગે છે. આમ તો નહેરૂ અને વિનોબાજી એક જ ગાંધી પરિવારના ગણાય. ૨૫ વર્ષ તેઓ ગાંધીજીની સાથે સંકળાયેલા રહ્યા પરંતુ વિનોબા અને જવાહર- લાલજી પહેલી વખત આ સંમેલનમાં મળ્યા હતા. ગાંધીની પ્રેરણાથી ઘણાં બધાં રચનાત્મક કામ કરનારાં જૂથો પોતપોતાની રીતે કામ કરતાં હતાં પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે સામૂહિક પ્રયત્નોનો અભાવ દેખાતો હતો.

ગાંધીજીના મનમાં આઝાદી પછી હવે દેશને કઈ દિશામાં લઈ જવો છે, તેનું ચિત્ર હતું, પરંતુ વર્ષો સુધી સાથ આપનારા સક્ષમ સાથીઓ ગાંધીના ચિત્રમાં રંગ પૂરવા ઇચ્છતા ન હતા અથવા તેમ કરવા સક્ષમ પણ ન હતા. સરકારમાં ગયા પછી કેટલાકના વિચારોમાં બદલાવ આવ્યો હતો અથવા હમણાં તો આમ જ કરવું પડશે તેમ લાગ્યું હશે. આ બધા પ્રવાહો ક્યાંક ને ક્યાંક સંમેલનમાં દેખાઈ આવતા હતા. સંસ્થા, સંગઠન કે સરકાર ચલાવવા માટે Violence in form is taken for granted 2 First Class Military Power બનાવવાની વાત ચાલતી હતી. મોરારજીભાઈ દેસાઈ કઠોર શાસનનો માર્ગ અપનાવી રહ્યા છે તેવી વાત સંમેલનમાં કહેવામાં આવી.

સરકાર ચલાવવા માટે દંડપ્રયોગ અને શસ્ત્રપ્રયોગ અનિવાર્ય લાગે છે ત્યારે આપણે અહિંસક સમાજરચનાને કેવી રીતે જોવી ? પાકિસ્તાન આપણા પર હુમલો કરે ત્યારે તેને ખાળવા માટે લશ્કર જ કામ લાગે. એક સજ્જને કહ્યું – વિનોબાની તાર્કિક વાતો સમજવી તે અમારી મર્યાદા બહારની વાત છે (ખાસ અહિંસા અંગેની). બીજા એક સજ્જને કહ્યું, ગોડસેએ નહીં, આપણે લોકોએ જ ગાંધીને માર્યા છે. આપણું રોજ બરોજનું જીવન હિંસા પર જ ટકી રહ્યું છે.

સંમેલનમાં નેતાઓના સંરક્ષણ માટે મોટી સંખ્યામાં પોલીસની હાજરીથી ઘણા કાર્યકર્તાઓ નારાજ થયા હતા. જોકે જવાહરલાલજીએ આ માટે દિલગીરી જાહેર કરી હતી. એક સજ્જને શ્રી અરવિંદનો વિચાર રજૂ કર્યો હતો.

‘We have shown how high an individual can rise and how low a nation can fall.’

વ્યક્તિગત ધોરણે આપણે ઘણી મોટી ઊંચાઈએ પહોંચી શકીએ છીએ પરંતુ સામૂહિક સ્તર પર આપણે નબળા પુરવાર થયા છીએ. એક વ્યક્તિ કેટલી ઊંચાઈએ જઈ શકે છે અને એક રાષ્ટ્ર કેટલો નીચે ઊતરી જાય છે તે આપણે બતાવી ચૂક્યા છીએ. આપણને એકબીજા સાથે લડવાની આદત છે. બાપુનો આદેશ હતો – – Love thy enemy. પરંતુ આપણે તો ઊક્ષયળુ ને પ્રેમ કરવામાં મિત્રને પ્રેમ કરવાનું ભૂલી ગયા. પારસ્પરિક પ્રેમની બુનિયાદ પર સંગઠન ચાલવું જોઈએ. અહિંસક સમાજરચનામાં Minimum Disciplinary Action હશે.

આપણે રાજનીતિથી ભાગીશું નહીં. Politics ને ક્યારેય આપણે Isolate નહીં કરી શકીએ. આપણે પૂંજીવાદી સમાજરચનાને ખતમ કરવી છે. આમાં ધનવાન અને બુદ્ધિમાન બંને આપણને અને સમાજને ચૂસે છે.

હવે જવાહરલાલે રજૂ કરેલા વક્તવ્યના મહત્ત્વના મુદ્દા તરફ નજર નાંખીએ.

સવાલોં કો ફિરસે નઈ ફિઝા કી રોશની મેં સોચના હોગા            – નહેરુ

જવાહરલાલે બે વખતે તેમનાં લાંબાં વક્તવ્યો આપ્યાં. તેમણે તેમની મનોદશા વ્યક્ત કરી હતી અને કેટલાક તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા. આ પ્રવચનોમાં ગાંધી માટેનો તેમજ રચનાત્મક કાર્યકરો માટેનો પ્રેમ વ્યક્ત થતો હતો. તો બીજી બાજુ એક જુદા માર્ગ પર ચાલવાનું દર્દ પણ છતું થતું હતું. તેમનું જુદા માર્ગ પર ચાલવું એ તેમની જવાબદારીના ભાગરૂપે હતું. તેમજ તેમની અલગ વિચારસરણીના કારણે પણ હતું.

તેમણે કહ્યું કે તમે અહીં હિંસા-અહિંસાની સૂક્ષ્મ ચર્ચા કરો છો પણ મારે તો આંતરબાહ્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લશ્કરની વ્યવસ્થા કરવી પડે છે. કોમી હુલ્લડોને જો નાથવામાં ન આવે તો એક વખત તો દેશના ભાગલા પડ્યા, વધુ ભાગલા પણ પડી શકે છે. આપણી સામે મોટી સંખ્યામાં આવેલા શરણાર્થીઓ, વિસ્થાપિતોનો પ્રશ્ર્ન છે (આ સંખ્યા ૪૦ લાખ જેટલી છે, તેમ સંમેલનમાં એક સજ્જને કહ્યું હતું). દિલ્હીમાં હુલ્લડો ચાલે છે. મારી આસપાસ સિપાઈનો પહેરો રહે છે. હું બહાર જાઉં ત્યારે પણ આસપાસ સિપાઈઓ હોય છે. અહમદનગરની જેલની જેમ જાણે કોઈ મોટી જેલમાં રહેતો હોઉં તેમ મને લાગે છે.

સંરક્ષણ માટે લશ્કર જોઈએ, અને લશ્કર માટે ઘણી બધી સામગ્રી મોટા પાયે અને જલદી જોઈએ. વિશ્ર્વમાં નાનાં મોટાં યુદ્ધો ચાલે છે, ત્રીજું યુદ્ધ મહાયુદ્ધ પણ થઈ શકે છે. આપણો દેશ આનાથી અલગ ન રહી શકે. માટે ઔદ્યોગિકીકરણ કરવું પડે. ગ્રામોદ્યોગ અને મોટાપાયે ઔદ્યોગિકીકરણ અંગે જવાહરલાલે જણાવ્યું કે, આજે તો ગ્રામોદ્યોગ ક્યાં ચાલશે અને ક્યાં નહીં ચાલે તેમ ન વિચારતાં દેશના રક્ષણનો વિચાર કરવો પડશે. આપણે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ બંનેનો લાભ કેવી રીતે લઈ શકીએ તે વિચારવું પડશે.

ખાદી અંગેની વાત કરતાં તેમણે જણાવ્યું, હોઈ શકે થોડા વખત પછી ખાદી પહેરનારા કોઈ ન પણ હોય. બીજી બાજુ ખાદી સમગ્ર દેશની વસ્ત્રોની માંગને પહોંચી પણ ન શકે. આવા શૂન્યાવકાશને પૂરવા માટે ક્યાં તો પરદેશથી કાપડ મંગાવવું પડે અથવા દેશમાં મિલો સ્થાપવી પડે.


તમને આ પણ વાંચવું ગમશે

ગાંધીજીને ‘શિકારી’ કેમ કહેવામાં આવ્યા?

ગાંધીજી અને સામ્યવાદ

વિ રેલવે અને રોગચાળો – ગાંધીજી શું કહે છે?


આજે દેશમાં પાયાના પ્રશ્ર્નોની સંમેલનમાં જે ચર્ચા થાય છે તેના કરતાં મારી સામે પસંદગીનો ક્રમ જુદો છે. જેમ કે, ભાષાના પ્રશ્ર્ને. બંધારણ અંગ્રેજીમાં કેમ છે ? હિંદુસ્તાની ભાષા પર ભાર કેમ નથી અપાતો ? તેવા પ્રશ્ર્નોના સ્થાને આજે દેશમાં શાંતિ કેમ સ્થપાય, કોમવાદી વલણો વકરી ન જાય તે પ્રશ્ર્ન મુખ્ય છે.

એક સમય હતો જ્યારે કેટલાંક તત્ત્વો ગોરા ઓફિસરો પર ગોળી ચલાવતાં હતાં. આજે દેશની અંદરોઅંદર ગોળી ચલાવે છે. ગાંધીની હત્યા કરનારાં તત્ત્વો વધુ સક્રિય ન થાય તે જોવાનું છે. જવાહરલાલજીએ કૉગ્ંરેસના વિસર્જનની વાતને પોતે માન્ય કરતા નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હતું. નવા નામે કોઈ પણ પોલિટીકલ પાર્ટી બનાવો તો તેમાં ન ઇચ્છીએ તેવા લોકો દાખલ થઈ શકે. કૉંગ્રેસ ઘણી જૂની સંસ્થા છે. તેને કેમ સુધારવી તે જ વિચારવું રહ્યું.

આજે કૉંગ્રેસજનો ચૂંટણીઓમાં જીત મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, પ્રજા અને કૉંગ્રેસ વચ્ચે દીવાલ આવી ગઈ છે, સેવાનો ભાવ દેખાતો નથી તે વાત જવાહરલાલે સ્વીકારી હતી. સરકારની કેટલીક મર્યાદાઓ રહેવાની છે. ગાંધી ચારે દિશાએ સક્રિય હતા. મોટી ઉંંમરે પણ નોઆખલી સુધી દોડી ગયા હતા. જવાહરલાલજી કહે છે, મારી સામે કામોનો ઢગલો હાજર થઈ જાય છે. આખો દિવસ કાર્યભાર તળે દબાયેલો રહું છું, વિચારવાની પણ ફુરસદ મળતી નથી. મારા મગજમાં આજે તો કોઈ સ્પષ્ટ ચિત્ર દેખાતું નથી. દિલ્હી જઈને પાછો કામના ચક્કરમાં પડી જઈશ પરંતુ સંમેલનમાં જે નિર્ણયો લેવાશે તે પ્રમાણે મદદ કરવા પ્રયત્ન કરતો રહીશ.

આમ જવાહરલાલે પોતાની કેટલીક વ્યથા અને તેમણે સ્વીકારેલા એક વિકલ્પની વાત કરી હતી. ગાંધીજીનાં છેલ્લાં વર્ષોમાં ૧૯૪૫, ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં જવાહરને લખેલો પત્ર અને જવાહરલાલે આપેલો જવાબ જે મિત્રોએ વાંચ્યો હશે તેમને માટે જવાહરલાલજીએ સંમેલનમાં રજૂ કરેલી વાત નવી નહીં લાગી હોય (જુઓ મહાત્મા ગાંધી પૂર્ણાહુતિ પુસ્તક ચોથું – પ્રકરણ ચોથું, ભાવિ સમાજની દિશામાં, પેજ ૧૪૯થી ૧૫૫).

અહિંસામાં અપવાદની માંગણી ન કરીએ.   -વિનોબાજી

સંમેલનમાં બધાની આશા વિનોબાજી તરફ હતી. જવાહરલાલજીએ કહ્યું, પોતે માર્ગદર્શન આપવા સમર્થ નથી. વિનોબાજીએ જણાવ્યું કે ગાંધીજીએ જવાહરલાલને પોતાના વારસદાર ગણાવ્યા હતા. હું તો ગાંધીજીના પાળેલા જંગલી જાનવર જેવો છું. આપણે બધા પ્રશ્ર્નો માટે સરકારને દોષ ન આપીએ. આપણે ખાદીકામને તેના પગ પર જ ઊભું રહે તેવું બનાવવાનું છે. જવાહરલાલજી અહીં સરકારના પ્રતિનિધિ તરીકે નથી આવ્યા. તેમની મુશ્કેલીઓને પણ સમજવાની જરૂર છે. આપણે તે દૂર કરવા સહયોગ આપવાનો છે. સરકાર સાથે હળીમળીને કામ કરવાનું છે. આ દિશામાં કામ કરવા આપણે તેમનું માર્ગદર્શન મેળવવાનું છે.

સંમેલનમાં દેશનાં સૌ રચનાત્મક કામ કરનારાઓનું એક લચીલું સંગઠન બનાવવા પર ભાર આપવામાં આવ્યો હતો. આ સંગઠનનું નામ શું રાખવું ? તેમાં ગાંધીનું નામ હોય ? ‘સત્યાગ્રહી સમૂહ’ નામ રખાય ? – ચર્ચાને અંતે વિનોબાજીએ ‘સર્વોદય સમાજ’ નામ રાખવા સૌને સમજાવ્યા. આ સંગઠનનો ઉદ્દેશ – સત્ય અને અહિંસાના પાયા પર સમાજની રચના કરવી, જેમાં નાતજાતના ભેદભાવ નહીં હોય, કોઈ કોઈનું શોષણ ન કરે, એવો સમાજ રચવો જેમાં વ્યક્તિ અને સમૂહને વિકાસ કરવાની સમાન તક મળે.

આવો સમાજ રચવા માટેનો માર્ગ કહો કે સાધનો કહો, તે નીચે પ્રમાણે હશે :

– સાંપ્રદાયિક એકતા – અસ્પૃશ્યતા-નિવારણ – નશાબંધી – ખાદી ગ્રામોદ્યોગ – ગામ સફાઈ – નઈ તાલીમ – સ્ત્રી-પુરુષ સમાનતા – આરોગ્ય-સ્વચ્છતા – દેશની ભાષાઓનો વિકાસ – રાષ્ટ્રભાષા હિંદુસ્તાની – આર્થિક સમાનતા – ખેતી સુધાર – મજૂર સંગઠન – આદિવાસીઓનો વિકાસ – વિદ્યાર્થી સંગઠન – ગો સેવા – કુષ્ઠ રોગ સેવા – પ્રાકૃતિક ચિકિત્સા વગેરે….

આમ તો વિનોબાજી પોતાને એકાંતમાં રહેવાવાળો જીવ છું, તેમ ગણાવે છે. વિનોબાજી કોઈ સંગઠનના સભ્ય બનવા તૈયાર નથી થતા. પરંતુ બધાના આગ્રહના કારણે તેઓ સર્વોદય સમાજની સાથે રહેશે તેમ જણાવ્યું. તેઓ પોતાની સ્વતંત્રતા જાળવી રાખશે, જેથી તેઓને પોતાના આંતરિક સ્તરથી નીચે ન ઊતરવું પડે. જરૂર પડશે ત્યાં માર્ગદર્શક બનશે.

સંમેલનમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને સાચી શ્રદ્ધાંજલિ ગાંધીજીએ દર્શાવેલા પથ પર ચાલવું, તે જ છે તેમ કહેવામાં આવ્યું.

વિનોબાજીએ એ બાબતે પોતાનું દુ:ખ જાહેર કર્યું કે, પોતાના જ પ્રાંતની, પોતાની જ બ્રાહ્મણ જાતિની એક વ્યક્તિએ ગાંધીને માર્યા. જો કે, વિનોબાજીએ નાત-જાતનું લેબલ તો ક્યારનુંય ત્યજી દીધું હતું.

વિનોબાજીએ ખૂબ જ કડક શબ્દોમાં રાષ્ટ્રીય સેવક સંઘની ટીકા કરી હતી. ગાંધી સત્યના આગ્રહી હતા. સંઘનો આવો કોઈ આગ્રહ હતો નહીં બલ્કે, અસત્ય તેમની ટેકનિક, એમનું તંત્ર, એમની ફિલોસોફી છે. ગીતાનું ખોટું અર્થઘટન કરે છે. અર્જુનને હિંદુ ધર્મનો આદર્શ ગણે છે કે જે ગુરુને પ્રણામ કરીને યુદ્ધમાં હત્યા કરે છે. સંઘ માને છે કે આવી હત્યા કરી શકે તે સ્થિતપ્રજ્ઞ છે. આ સંગઠન માત્ર તોફાન કરાવનારા ઉપદ્રવીઓનો સમૂહ નથી, ફિલોસોફરોની જમાત છે. આ સંગઠનની કાર્યપ્રણાલી સામે આપણો વિરોધ રહ્યો છે. હિંદુ-મુસ્લિમનો જ્યાં ઝઘડો થવાની શક્યતા હોય ત્યાં આ લોકો પહોંચી જાય છે. (વધુ વિગતો માટે પુસ્તક – સેવાગ્રામ રચનાત્મક કાર્યકર્તા – સંમેલન કા વિવરણ પાન નં. ૧૪૪-૧૪૫)

દેશમાં ફેલાયેલી હિંસા અને જેનો ભોગ ગાંધીજી બન્યા તે માટે વિનોબાજી કોઈ સંગઠનને માત્ર દોષી નથી ગણાવતા. ૧૯૪૨માં આપણે ગાંધીના નામે ક્યાંક ને ક્યાંક હિંસાનો માર્ગ અપનાવ્યો હતો. અહિંસા કરવામાં ક્યાંય આપણે અપવાદની માંગણી ન કરી શકીએ.

They also Serve….

સંમેલનમાં હિંસા-અહિંસા પર ખૂબ સૂક્ષ્મ ચર્ચા થઈ હતી. આપણી સામે કોઈ હિંસક હુમલો કરે અથવા કોઈ દેશ આપણા પર હુમલો કરે ત્યારે આપણે સરકારને સાથ ન આપવો જોઈએ ? આમાં અહિંસક પ્રતિકાર કેમ કરવો ? આપણી સામે એક વિકલ્પ છે. તટસ્થ રહેવું. બીજો છે હિંસા સામે જરૂર પડે બચાવ માટે હિંસા આચરનારને ટેકો આપવો. કેટલાક સજ્જનોએ કહ્યું, આજે તો ભલે આપણે અહિંસામાં માનતા હોઈએ, જનતા અને સરકાર આપણી સાથે નથી.

વિનોબાજી કહે છે, અહિંસાના માર્ગે ચાલનારાએ જરૂર પડે મરવાની તૈયારી રાખવી પડે. જો તેમ ન કરી શકો તો અહિંસાની શક્તિનો કેમ વિકાસ થાય તે અંગે વિચારો. વિનોબાજી

John Milton (1608 – 74)ની કવિતા ‘On His Blindness’ની છેલ્લી લાઈન રજૂ કરે છે – “They also serve who only stand and wait.”

– જો જાગ્રત રહ કર પ્રતિક્ષા કરતે હૈં વે ભી સેવા કરતે હૈં.

વિનોબાજી કહે છે, આપણે આપણી અહિંસા માટેની શ્રદ્ધા કેટલી ઊંડી છે, તે તપાસવું જોઈએ. સંમેલનમાં શ્રીમન્નારાયણ શાંતિસેના સ્થાપવા પર ભાર આપે છે, આ સેના અહિંસાત્મક સંરક્ષણ અને અહિંસાત્મક પ્રતિકારની દિશામાં કામ કરશે. સર્વોદય સમાજની રચના સાથે પ્રત્યક્ષ કામ કરનારી સંસ્થાઓ સામૂહિક રીતે કામ કરી શકે તે માટે સર્વસેવા સંઘની રચના પણ સાથેસાથે કરવામાં આવી.

ગાંધીજી ગયા – હવે મારે મારું સ્થાન છોડવું પડશે  – વિનોબા

વિનોબાજીએ પવનાર છોડવાનું મન બનાવી લીધું હતું. આ વખતે સામાજિક કાર્યકરો, તેમજ દેશની સ્થિતિ શું હતી ? વિચારકો, ચિંતકોના મનમાં શું ચાલતું હતું ? ગાંધીજીના જીવનનું અંતિમ પર્વ વગેરે પર આપણે નજર નાંખી. સર્વોદય સંમેલન આપણી સામે ઘણાં તથ્યો ઉજાગર કરે છે. આપણને પડકાર પણ ફેંકે છે. આવી સ્થિતિમાં હવે વિનોબાજી અહિંસાની ખોજ માટે ‘અગલા કદમ’ ક્યાં મૂકવાના છે તેને સમજવાનું છે.

લેખમાળામાં આપણે કેટલાંક પુસ્તકોનો પણ ઉલ્લેખ કર્યો છે. વિનોબા આપણને ગાંધીની ઓળખ આપે છે. આપણે તે વખતની દેશની સ્થિતિને કેટલાંક પુસ્તકોની સહાયથી સમજવાનો પ્રયત્ન કર્યો. આ બધી રજૂઆત વિનોબાના ભાવિ પથને સમજવા માટે મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે.

લેખમાળાના હવે પછીના ભાગમાં વિનોબાજી શરણાર્થીઓની સેવામાં દિલ્હી પહોંચે છે તે વાત તેમજ સેવાગ્રામની સર્વોદય યાત્રાનો શુભારંભ કરે છે, તેનો વિચાર કરીશું.

– રેવારજ


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s