દિલ્હીની સિંધુ બોર્ડર પર ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને, આ લખાય છે ત્યાં સુધીમાં ચાર અઠવાડિયાંથી વધારે સમય થઈ ગયો છે. આ આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં વિવિધ ખેડૂત સંગઠનો, કર્મશીલો પ્રત્યક્ષ દિલ્હી જઈને ખેડૂત આંદોલનમાં જોડાયા છે.
ગુજરાતમાં ખેડૂત આંદોલન અંગે ચર્ચાની શરૂઆત જ થઈ હતી ત્યારે જૂનાગઢના ખેડૂત પરિવારમાંથી આવતા ધરમભાઈ હદવાણી જેઓ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં હાલ પત્રકારત્વનો અભ્યાસ કરે છે, તેમણે ચોથી ડિસેમ્બરના રોજ સોમનાથથી બાઇક લઈને દિલ્હીની સિંધુ બોર્ડર જવાનું નક્કી કર્યું. ચાર તારીખે સોમનાથથી તેઓ નીકળે તે પહેલાં જ આઈબી-પોલીસનો ફોન આવ્યો ને તેમના કાર્યક્રમ અંગેની પૂછપરછ શરૂ થઈ ગઈ. એ પછી પાંચ તારીખે સાબરમતી આશ્રમ ખાતે ધરમભાઈએ પત્રકારોને સંબોધન કર્યું. ત્યારબાદ તરત જ અમદાવાદ ખાતે તેમની અટકાયત કરવામાં આવી. તેમની પાસે પોલીસે નિવેદન લીધું અને પછી જવા દેવામાં આવ્યા. અમદાવાદથી નાથદ્વારા, જયપુર અને 7 તારીખે સાંજે તેઓ દિલ્હી ખાતે પહોચ્યા. ત્યારથી તેઓ દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતો સાથે છે.
બાઇકયાત્રાનો વિચાર ક્યાંથી આવ્યો તે પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘ગુજરાતમાં લોકોનું ધ્યાન ખેડૂતોના પ્રશ્ર્નો પર જાય, તે હેતુથી મેં અનોખી રીતે દિલ્હી જવાનું નક્કી કર્યું. વળી ગુજરાતમાં પણ લોકો ખેડૂતોના સમર્થનમાં છે, એવો સંદેશ મારે આપવો હતો.’
હિલ્હી-હરિયાણા બોર્ડર પરની સ્થિતિ અંગે તેઓ જણાવે છે કે, ‘અહીં જોરદાર આયોજન છે. ખેડૂતો પૂરતી તૈયારી સાથે આવ્યા છે. ભલે પછી છ મહિના પણ કેમ ન રોકાવું પડે! દરેક બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. આટલી ઠંડીમાં બહારથી આવતા લોકો માટે પહેરવા, ઓઢવાની વ્યવસ્થા છે. દરેક જગ્યાએ જમવાના લંગર સતત ચાલુ હોય છે, તે ઉપરાંત આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. દિલ્હીના લોકો પણ સતત ખેડૂતો માટે જરૂરી સામાન પહોચાડી રહ્યાં છે. ફળો અને શાકભાજીની વ્યવસ્થા દિલ્હીવાસીઓ પણ કરી રહ્યાં છે. કેટલીક જગ્યાએ તો ડ્રાયફ્રુટ્સનું વિતરણ થતું પણ જોયું.’ ધરમભાઈ વધુમાં જણાવે છે કે, ‘સ્થાનિક લોકો પોતાના અધિકાર માટે અંદોલન કરતા ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેની કાળજી રાખે છે. વળી અહીં માત્ર હરિયાણા કે પંજાબના ખેડૂતો જ છે એવું નથી. તમિલનાડુ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશના ખેડૂતો પણ મોટી સંખ્યામાં છે.’
એક તરફ ગુજરાત મોડેલની વાસ્તવિકતા બહાર ન આવે તે માટે સરકાર સતત કોઈ ને કોઈ પગલાં લે છે ત્યારે ગુજરાતના એક યુવાનું આ ડગલું પ્રેરક બનશે તેવી આશા….
(ધવલભાઈ હદવાણી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના આધારે.) -પાર્થ